જાણો કોણ છે વડાપ્રધાન મોદીને ભેટ આપનારા આ મહિલા? જેમની ચારેકોર થઈ રહી છે ચર્ચા
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતાં. તેમાંથી એક મધ્યપ્રદેશની ભૂરી બાઈ સતત ચર્ચામાં રહ્યા છે. ભૂરી બાઈને કલાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપ્યા બાદ સતત ચર્ચામાં છે.
વાસ્તવમાં, પીએમ નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર ભોપાલ પહોંચ્યા હતા જ્યાં જંબૂરી મેદાનમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમના સ્વાગતમાં પરંપરાગત નૃત્ય પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને ભેટ તરીકે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ભૂરી બાઈએ એક આદિવાસી કલાકૃતિ દર્શાવતી પેઇન્ટિંગ ભેટ આપી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે દરેક વ્યક્તિ ભૂરી બાઈ વિશે જાણવા ઈચ્છે છે. આવો જાણીએ ભૂરી બાઈ વિશે.
જણાવી દઈએ કે, ભૂરી બાઈ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના પિટોલ ગામની રહેવાસી છે. તેમને બાળપણથી જ ચિત્રકામનો ખૂબ જ શોખ હતો. ભૂરી બાઈનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. શરૂઆતમાં ભૂરી બાઈ તેમના ગામના ઘરોની દિવાલો પર ચિત્રો બનાવતી હતી, પછી ધીમે ધીમે તેમની પેઇન્ટિંગ ગામડાથી શહેર અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ.
ગરીબ હોવાને કારણે ભૂરી બાઈ ભોપાલ આવ્યા અને મજૂર તરીકે કામ કરવા લાગ્યા, સાથે જ અહીં પેઇન્ટિંગનું કામ પણ શરૂ કર્યું. આ દરમિયાન તેમની પેઈન્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ત્યાર પછી તેમને ભોપાલના ભારત ભવનમાં પેઇન્ટિંગ કરવાનો મોકો મળ્યો. આ પછી, ભૂરી બાઈ વિશ્વની પ્રખ્યાત ચિત્રકાર બની ગઈ. એટલું જ નહીં, ભૂરી બાઈએ બનાવેલી પેઈન્ટિંગ દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. ખાસ વાત એ છે કે અમેરિકામાં વર્કશોપમાં ભૂરી બાઈની પેઇન્ટિંગની પણ ચર્ચા થઈ હતી.
તમને જણાવી દઈએ કે, વર્ષ 1986-87માં ભૂરી બાઈને મધ્યપ્રદેશ સરકાર દ્વારા સર્વોચ્ચ પુરસ્કાર શિખર સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ 1998માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા તેમને અહિલ્યા સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે ભૂરી બાઈ એટલા પ્રસિદ્ધ છે કે તેઓ દેશના વિવિધ જિલ્લાઓમાં આર્ટ અને પિથોરા આર્ટ પર વર્કશોપનું આયોજન કરે છે. તમને જણાવી દઈએ કે, ભૂરી બાઈ પોતાની કલાકારીમાં ભીલ દેવી-દેવતાઓ, પોશાક, ઘરેણાં અને ટેટૂઝ, ઝૂંપડીઓ, અનાજના ભંડાર, હાટ જેવી ઘણી વસ્તુઓનું ચિત્રકામ કરે છે.
પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરવા પર, ભૂરી બાઈએ કહ્યું, “મને આ એવોર્ડ આદિવાસી ભીલ પેઇન્ટિંગ કરવા માટે મળ્યો છે, મેં માટીથી પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. હું ભોપાલના ભારત ભવનમાં મજૂર તરીકે કામ કરતી હતી અને તેની સાથે ચિત્રો બનાવતી હતી. આજે મારી પેઇન્ટિંગ વિદેશમાં જાય છે. હું બહુ ખુશ છું.”