ગુજરાતનું અનોખું મંદિરમાં લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા, ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં

ગુજરાતનું અનોખું મંદિરમાં લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા, ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં

દેશમાં હજારો મંદિરો આવે છે જે અતૂટ આસ્થાનું કેન્દ્ર ધરાવે છે, એવું જ એક મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા છે. એવું કહેવામાં આવે છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે. આ આસ્થાના કારણે જ ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતનાં અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે.

ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં
મહેસાણાથી 40 કિલોમીટર દૂર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસતિ ધરાવે છે, જેમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. આ દાંલા માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવા આવે છે. આ ઉપરાંત આ મંદિર કોમી એખલાસનું સંપૂર્ણ પ્રતીક છે. મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દુ મુસ્લિમના અસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં આવતા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે, જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે.

અન્ય રાજ્યના લોકો પણ વિઝાની માનતા માને છે
મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 7 હજાર જેટલી વસતિ છે, જેમાં 3 હજારથી વધુ લોકો અમેરિકામાં વસવાટ કરે છે. આ મંદિરમાં 70થી 80 ટકા લોકો પોતાના વિઝાની માનતા લઈને આવતા હોય છે. શ્રદ્ધાળુઓનાં 90 ટકા કામ થઈ જાય છે. ગુજરાત નહીં, પરંતુ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના લોકો પણ વિઝાની બાધા રાખવા આવતા હોય છે.

સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ
ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે, સુનિતા વિલિયમ્સ ઘણીવાર આ ગામમાં મંદિરનાં દર્શન કરવા આવી ચૂક્યાં છે. સુનીતા વિલિયમ્સ જ્યારે પોતાની અંતરિક્ષયાન યાત્રા પર હતાં એ દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી. એ દરમિયાન ઝુલાસણના લોકોએ ભેગા મળીને આ મંદિરે સુનિતા વિલિયમ્સ માટે અખંડ જ્યોત અને ધૂન બોલાવી હતી. ત્યાર બાદ સુનિતા વિલિયમ્સ સફળતાપૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવ્યાં હતાં અને ત્યાર બાદ ઝુલાસણ ખાતે દાંલા માતાનાં દર્શન કરવા પહોંચી હતી.

મંદિરનો ઇતિહાસ
800 વર્ષ અગાઉ ઝુલાસણ ગામમાં હાલ જ્યાં મંદિર છે એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યાર બાદ ગામલોકો આ યંત્રને દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે. જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમનાં કામ પૂરાં થતાં ગયાં એમ એમ લોકોમાં વધુ આસ્થા જાગી. આ મંદિરમાં લોકવાયકા મુજબ મુસ્લિમ દેવી પૂજાય છે અને મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે.

લોકવાયકા મુજબ પહેલાંના જમાનામાં ગામમાં લૂંટારાઓ આવતા હતા અને ગામને લૂંટીને જતા રહેતા હતા. ત્યારે પાડોશના ગામમાંથી પસાર થતી એક મુસ્લિમ મહિલાએ જોયું કે ઝુલાસણ ગામમાં લૂંટ મચી છે. તેઓ ત્યાં જ રોકાઈ ગયાં ને લૂંટારુઓ સામે બાથ ભીડી અને લડતાં-લડતાં મૃત્યુ પામ્યાં. આજે જ્યાં મંદિર છે ત્યાં જ તેમનું મોત થયું હતું. એનાં ઘણાં વર્ષો બાદ તેમના નામ પર મંદિર બન્યું.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *