હજારો લિટર ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી જતાં લોકોએ રિતસર કેન અને અન્ય વાસણો લઈને લૂંટ મચાવી
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ખાદ્ય તેલ ભરેલું એક ટેન્કર પલટી જવાના કારણે આશરે 3 કલાક સુધી રસ્તા પર વાહનો ખોરવાયા હતા. શનિવારના રોજ બનેલી આ ઘટનામાં ટેન્કરમાંથી ઢોળાયેલું તેલ લૂંટવા માટે તે વિસ્તારના સ્થાનિકોએ દોટ લગાવી હતી. જણાવી દઈએ કે આ બનાવ મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર જિલ્લાના દહાણુ પાસે બન્યો હોવાનું સામે આવ્યું છે.
12,000 લિટર ખાદ્યતેલને સુરતથી મુંબઈ પ્રોસેસિંગ માટે લઈ જઈ રહેલા ટેન્કર પલ્ટાયું
લગભગ 12,000 લિટર ખાદ્યતેલને સુરતથી મુંબઈ પ્રોસેસિંગ માટે લઈ જઈ રહેલા ટેન્કરના ચાલકે તવા ગામ પાસે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત નડ્યો હતો. તેના કારણે ટ્રેન્કર પલટી ગયું હતું અને તેમાંથી તેલ બહાર નીકળવા લાગ્યું હતું.
ખાદ્યતેલનું ટેન્કર પલટી ગયાની જાણ થતાં જ અનેક સ્થાનિકો વાસણ લઈને લીક થયેલા તેલને ભરવા માટે પડાપડી કરીને તેલ ભરવા લાગ્યા હતાં. જોકે લોકોની ભીડને કાબૂમાં લેવા અને ટ્રાફિકને કાબૂમાં કરવામાં પોલીસને આશરે 3 કલાક સુધી જહેમત કરવી પડી હતી. આ દુર્ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ગમ્ખાર અકસ્માતની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક રેસ્ક્યુ ટીમે ટેન્કરને રસ્તા પરથી હટાવીને ટ્રાફિકને નિયંત્રણમાં કર્યો હતો.
નોધનીય છે કે 3 દિવસમાં હાઈવે પર ટેન્કર પલટી જવાની આ બીજી ઘટના છે. અગાઉ ગુરૂવારના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જ મુંબઈ-અમદાવાદ હાઈવે પર એમોનિયા લિક્વિડ ભરેલું ટેન્કર એક ટેમ્પો સાથે અથડાવાના કારણે અનેક કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો.