જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત, પિતૃ તર્પણ વિધિ કરવા આવેલા પરિવારે બાળક ગુમાવ્યું
જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં બે વર્ષનું બાળક પાણીમાં ડૂબી જતા મોત થયું છે. માણાવદરથી એક પરિવાર પિતૃ તર્પણ માટે દામોદર કુંડ આવ્યો હતો. જેમની સાથે એક બે વર્ષનું બાળક પણ હતું. જો કે, કોઈ કારણસર બાળક દામોદર કુંડમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં ડૂબી જતા 2 વર્ષના માસૂમનું મોત થયું છે.
બનાવની મળતી માહિતી પ્રમાણે, આજે માણવદરનો એક પરિવાર જૂનાગઢના દામોદર કુંડ પાસે બપોરે 2 વાગ્યાના અરસામાં પિતૃ તર્પણની વિધિ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમની સાથે રહેલું બે વર્ષનું બાળક દામોદર કુંડ પાસે પહોંચ્યું હતું. ત્યારે પિતૃ તર્પણ વિધિ દરમિયાન બે વર્ષીય બાળકનું બેલન્સ બગાડતા તે દામોદર કુંડમાં ડૂબી ગયું હતું. જ્યારે પરિવારનું બાળક પર ધ્યાન પડ્યું ત્યારે તે પાણીમાં હાથ પગ ચલાવી રહ્યું હતું. જોકે તેને બચાવવામાં આવે તે પહેલા તેનું ડૂબવાથી મૃત્યુ થયું હતુ.
મહત્વનું છે કે હાલ ગીરના જંગલોમાં ઉપરવાસમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જેને લઈને દામોદર કુંડમાં પાણીની આવક સારી રહે છે. દામોદર કુંડમાં પાણીનો વેગ વધુ હોવાથી બાળક તણાયું હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ પરિવારે ફાયર વિભાગને કરતા ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક દામોદર કુંડ પાસે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ બાળકનું મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
કુંડમાં શોધખોળ કરતા ફાયર વિભાગની ટીમને બાળકનો મૃતદેહ મળ્યો હતો. બે વર્ષના બાળકનું આવી રીતે અચાનક મોત થતા માંગરોળથી આવેલો પરિવાર ચોધાર આંસુએ રડ્યો હતો. દામોદર કુંડ આસપાસ ગમગીની છવાઈ હતી.
નોંધ: આ વેબસાઈટ પર આપવામાં આવેલા તમામ સમાચાર અને વસ્તુઓ રિપોર્ટર દ્વારા જણાવવામાં આવે છે અથવા અન્ય સ્ત્રોતો ઉપરથી લેવામાં આવ્યા છે. અમારો પ્રયાસ તમને સતત શ્રેષ્ઠ માહિતી આપવાનો છે અને ભવિષ્યમાં પણ તેમ કરતા રહીશું. સમાચાર અને અન્ય બાબતોની જવાબદારી લેખક અને સ્ત્રોતની રહેશે. “News7 Gujarat” વેબસાઈટના પેજ માટે કોઈ જવાબદાર રહેશે નહીં. અમારા પેજ “News7 Gujarat” સારા સમાચારનો આનંદ માણતા અને શેર કરતા રહો!